સેક્સ સ્કેન્ડલ મામલે કર્ણાટક સરકારની ખાસ વાત: પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવામાં આવે, વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારની રજૂઆત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan23052024_061527_Prajwal 222.webp)
- 23 May, 2024
કર્ણાટકની સરકારે અધિકારિક રીતે વિદેશ મંત્રાલયને જનતા દળ સેક્યુલરના સાંસદ પ્રજ્વલ રેવન્નાનો ડેપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલાના આરોપી છે. રાજ્ય સરકારે કરેલી આ રજૂઆત પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધની કાર્યવાહીમાં વધારો થયો હોવાનું પ્રતિક છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા પછીથી પ્રજ્વલ રેવન્ના કથિત રીતે જર્મની ભાગી ગયો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રેવન્નાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોતાના પત્રમાં સિદ્ધારમૈયાએ એ બાબતને શરમજનક ગણાવી કે રેવન્નાનો આરોપ સામે આવ્યો હતો. તેમની સામે પ્રથમ ક્રિમિનલ કેસ નોંધાયો તે પહેલા રવન્નાએ દેશ છોડવા માટે પોતાના ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.
પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણના ઘણા આરોપો લાગ્યા છે. જોકે હેરાન કરનારી વાત એ છે કે રેવન્ના દ્નારા કથિત રીતે ઘણી મહિલાઓની સાથે ખરાબ વ્યવહાર કરવાના વીડિયો ગત મહિને જ વાઈરલ થવા લાગ્યા હતા. તે ખાસ કરીને તેમના જ મતવિસ્તારમાં વાઈરલ થવા લાગ્યા હતા. તે પછીથી કર્ણાટકની સરકારે આ મામલાની તપાસ કરવા માટે એક ખાસ કમિટીની રચના કરી હતી.
સાંસદ રેવન્નાની વિરુદ્ધ એક લુક આઉટ સર્ક્યુલર અને બ્લૂ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. સિદ્ધારમૈયાએ નરેન્દ્ર મોદીને મામલાને અત્યંત ગંભીરતાથી લેવા માટે કહ્યું હતું. આ સિવાય એ પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું હતું કે રેવન્નાને તેના કાર્યો બદલ જવાબદાર ઠેરવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની રજૂઆત પર હાલ વિદેશ મંત્રાલય વિચાર કરી રહ્યું છે.
પ્રજ્વલ રેવન્નાએ વિદેશ મંત્રાલયની મંજૂરી વગર જ ડિપ્લોમેટિક પાસપોર્ટ પર મુસાફરી કરી છે. નિયમ મુજબ, ખાનગી મુસાફરી માટે ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કરવો હોય તો પણ પરવાનગી લેવાની હોય છે. 2 મેના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સાંસદ પ્રજ્વલ રેવન્નાની જર્મન મુસાફરી માટે વિદેશ મંત્રાલય પાસે કોઈ જ રાજકીય મંજૂરી માંગવામાં આવી નહોતી કે આપવામાં પણ આવી નહોતી. આ સિવાય કોઈ વિઝા નોટ પણ ઈસ્યુ કરવામાં આવી નહોતી.